રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે મોટો વહીવટી ફેરફાર થયો છે. ડો. મોનાલી માકડીયાને સુપ્રિન્ટેન્ડેન્ટના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમના સ્થાને ઓપ્થેલ્મોલોજી વિભાગના વડા ડો. કમલ ડોડીયાની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગરથી આ અંગેનો ઓર્ડર આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
આ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં સિનિયર મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણી અને જુનિયર ફિમેલ રેસિડેન્ટ ડો. ક્રિશા શીંગાળા વચ્ચે થયેલા વિવાદની ચર્ચા ચાલી રહી છે. આ ઘટનામાં મારામારીના આક્ષેપો થયા બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ મામલાને ગંભીર ગણાવી મેડિકલ ઓફિસર સામે કડક પગલાં લેવાની વાત કરી હતી.
જોકે, ડો. મોનાલી માકડીયાને સુપ્રિન્ટેન્ડેન્ટના ચાર્જમાંથી મુક્ત કરવાના સરકારી ઓર્ડરમાં વહીવટી કારણો દર્શાવવામાં આવ્યા છે. તેથી બંને બાબતો વચ્ચે સીધો સંબંધ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ડો. કમલ ડોડીયા સોમવારે ચાર્જ સંભાળશે
રાજકોટ સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે નિયુક્ત થયેલા ડો. કમલ ડોડીયા હાલમાં ઓપ્થેલ્મોલોજી વિભાગના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ સોમવારે વિધિવત રીતે સુપ્રિન્ટેન્ડેન્ટનો ચાર્જ સંભાળશે.
ડો. કમલ ડોડીયા અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમના વહીવટી અનુભવને ધ્યાનમાં રાખીને હવે રાજકોટ સિવિલ હોસ્પિટલની મહત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી છે.
ડો. મોનાલી માકડીયાનો બે વર્ષનો કાર્યકાળ
ડો. મોનાલી માકડીયા પ્લાસ્ટિક અને સર્જરી વિભાગના વડા તરીકેની જવાબદારી સાથે સુપ્રિન્ટેન્ડેન્ટનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન સિવિલ હોસ્પિટલની કેટલીક વહીવટી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
ખાસ કરીને ટેન્ડરની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અગાઉ બંધ કવરમાં થતી ટેન્ડર પ્રક્રિયાને બદલે ઓનલાઇન પ્રક્રિયા શરૂ થતાં વહીવટમાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટને લગતી કામગીરીમાં પણ નિયમોનું પાલન કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કારણે હોસ્પિટલના વહીવટમાં કેટલાક મહત્વના ફેરફારો જોવા મળ્યા હતા.
ડો. મોનાલી માકડીયાએ અગાઉ ચાર્જમાંથી મુક્ત કરવા રજૂઆત કરી હતી
આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડો. મોનાલી માકડીયા એક તરફ પ્લાસ્ટિક અને સર્જરી વિભાગની ઓપીડી તથા સર્જરીની કામગીરી સંભાળતા હતા અને બીજી તરફ વધારાના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે વહીવટી જવાબદારી પણ નિભાવતા હતા.
બંને જવાબદારીઓ એકસાથે સંભાળવી મુશ્કેલ બનતી હોવાથી તેમણે અગાઉ ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરીને સુપ્રિન્ટેન્ડેન્ટના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવાની વિનંતી કરી હતી. હવે સરકાર દ્વારા તેમને ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
હવે ડો. કમલ ડોડીયાની કામગીરી પર નજર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવા સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડો. કમલ ડોડીયા ચાર્જ સંભાળ્યા બાદ વહીવટી કામગીરીમાં કેવા ફેરફારો થાય છે તેના પર સૌની નજર રહેશે. ખાસ કરીને હોસ્પિટલની વહીવટી વ્યવસ્થા, ટેન્ડર પ્રક્રિયા અને દર્દીઓ સાથે જોડાયેલી સેવાઓમાં નવા સુપ્રિન્ટેન્ડેન્ટ કયા નિર્ણયો લે છે તે મહત્વનું રહેશે.
હાલમાં બનેલી ઇમર્જન્સી વિભાગની ઘટના બાદ સિવિલ હોસ્પિટલનું વહીવટીતંત્ર પણ ચર્ચામાં છે. આવી સ્થિતિમાં નવા સુપ્રિન્ટેન્ડેન્ટ સામે હોસ્પિટલની વ્યવસ્થા વધુ સુચારુ બનાવવાની મહત્વની જવાબદારી રહેશે.